ઈન્ડિગો ફ્લાઈટ નું ઇમરજન્સી લેન્ડિંગ : આજે સવારે નાગપુરથી કોલકાતા જઈ રહેલી ઈન્ડિગો ફ્લાઈટ 6E812 નું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. આ ઈમરજન્સી લેન્ડિંગ પાછળ બર્ડ હિટની ઘટના કારણભૂત છે. ઈન્ડિગોની આ ફ્લાઈટ ટેકઓફ થયા બાદ થોડીક જ ક્ષણોમાં એક પક્ષી વિમાન સાથે અથડાયું હતું. પાયલોટે તાત્કાલિક સંતુલન ગુમાવેલા વિમાનને સ્થિર કરીને નાગપુર એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરાવ્યું હતું.
એર ઈન્ડિયાની ફ્લાઈટ અવારનવાર ખોટકાઈ જવાના સમાચારોની વચ્ચે હવે ઈન્ડિગો ફ્લાઈટ 6E812 નું ઈમરજન્સી લેન્ડિંગ કરવાની ઘટના બની છે. આજે નાગપુરથી કોલકાતા જઈ રહેલ ઈન્ડિગો ફ્લાઈટ સાથે બર્ડ હિટની ઘટના ઘટી હતી. બર્ડ હિટના લીધે વિમાનનો આગળનો ભાગ દુર્ઘટનાગ્રસ્ત થયો અને વિમાન અસંતુલિત થઈ ગયું હતું. આ ફ્લાઈટમાં ક્રુ મેમ્બર્સ અને મુસાફરો એમ કુલ મળીને 272 લોકો હતા. આ અચાનક બનેલી ઘટનાથી મુસાફરોમાં ગભરાટ ફેલાયો. જો કે પાયલોટે સમય સૂચકતા વાપરીને પરિસ્થિતિને સંભાળી લીધી અને આ ફ્લાઈટનું સફળ ઈમરજન્સી લેન્ડિંગ કરાવ્યું હતું.
ઈન્ડિગોના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, 2 સપ્ટેમ્બર, 2025 ના રોજ નાગપુરથી કોલકાતા જતી ઈન્ડિગો ફ્લાઈટ 6E812 ટેકઓફ કર્યા પછી તરત જ એક પક્ષી સાથે અથડાઈ હતી. સાવચેતી રૂપે પાયલોટ્સે વિમાનને પાછું ફેરવવાનો નિર્ણય લીધો અને વિમાન નાગપુર એરપોર્ટ પર સુરક્ષિત રીતે ઉતર્યુ. વિમાનના જરૂરી નિરીક્ષણ અને જાળવણીને કારણે આજ માટે ફ્લાઈટ રદ કરવામાં આવી છે. નિષ્ણાતોના મતે પક્ષીઓ અથડાઈ એવિએશન ઉદ્યોગ માટે એક ગંભીર પડકાર છે. ટેકઓફ અને લેન્ડિંગ દરમિયાન પક્ષીઓ અથડાઈને વિમાનના એન્જિન અથવા અન્ય ભાગોને નુકસાન પહોંચાડી શકે છે. જેનાથી અકસ્માતનું જોખમ વધી શકે છે.